Mayur Mistry Gujarat
17/03/2026
*અંધકારના ખૂણે બેઠેલું અસ્તિત્વ*
*લેખક - મયુરકુમાર મિસ્ત્રી*
દુનિયા અત્યારે ખૂબ ઝડપથી દોડી રહી છે. ચારે બાજુ ઉત્સવો છે, ઝાકમઝોળ પાર્ટીઓ છે, મહિલા સશક્તિકરણના સેમિનારો છે અને નોકરી-ધંધામાં આગળ વધતી નારીઓની વાતો છે. પણ આ ભીડભાડ અને રોશનીથી દૂર, એક એવો અંધકારમય ખૂણો છે જ્યાં આપણી નજર ક્યારેય નથી જતી. આપણે વાત કરવી છે એવી મહિલાઓની, જેમના માટે જીવન શબ્દનો અર્થ માત્ર શ્વાસ લેવો જ રહી ગયો છે.
કલ્પના કરો એક એવી સ્ત્રીની, જે જન્મી ત્યારથી જ વિકલાંગ છે અથવા કોઈ અકસ્માતે તેનું શરીર લાચાર બનાવી દીધું છે. તેના માટે કોઈ તહેવાર નથી, કારણ કે તેની દુનિયા તો એ ચાર દીવાલોમાં જ કેદ છે. તેના માટે કોઈ લગ્ન જીવન નથી, કારણ કે સમાજની નજરમાં તે અપૂર્ણ છે. તેના માટે કોઈ અભ્યાસ નથી, કારણ કે ગરીબી અને લાચારીએ તેની કલમ પહેલેથી જ છીનવી લીધી છે.
આમાં વળી સૌથી કપરી સ્થિતિ એ મંદબુદ્ધિવાળી કે માનસિક અસ્વસ્થ મહિલાઓની છે, જેમને પોતાનું નામ પણ ખબર નથી. જ્યારે આવી સ્ત્રીઓ ગરીબ હોય અને પરિવાર વિહોણી હોય, ત્યારે તેમનું જીવન જીવતા નરક જેવું બની જાય છે. તે બોલી શકતી નથી, પોતાની પીડા કહી શકતી નથી, અને ક્યારેક તો ભૂખ કે તરસ જેવી પાયાની જરૂરિયાત માટે પણ તે બીજાના દયાભાવ પર નિર્ભર રહે છે. આ માત્ર ગરીબી નથી, આ સંવેદનાનું મૃત્યુ છે.
સમાજમાં આપણે દિવ્યાંગો માટે મોટી વાતો કરીએ છીએ, પણ જ્યારે એક સ્ત્રી દિવ્યાંગ અને સાવ એકલી હોય, ત્યારે તેની સુરક્ષા અને ગરિમા પર સૌથી મોટું જોખમ હોય છે. રસ્તા પર રખડતી કે આશ્રમમાં પડેલી આવી મહિલાઓની વેદના એ છે કે તેમને કોઈ પ્રેમથી સ્પર્શ કરનારું કે કેમ છો? પૂછનારું કોઈ નથી. તેમને ન તો કોઈ જાહેર જીવનમાં સ્થાન મળે છે, ન તો કોઈ સામાજિક મેળાવડામાં તેમને આવકારવામાં આવે છે. તેઓ જીવે છે, પણ જાણે અદ્રશ્ય થઈને.
આ અંધકારમાં કેટલીક જગ્યાએ આશાના દીવા ચોક્કસ બળે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમકે વાત કરીએ, દિવ્યાંગ પેન્શન યોજના જે સ્ત્રીઓ આર્થિક રીતે લાચાર છે, તેમને માસિક પેન્શન આપીને સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ થાય છે. સાધનોની સહાયમાં વ્હીલચેર, શ્રવણયંત્ર કે અન્ય સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે જેથી તેમની લાચારી થોડી ઓછી થાય. એવી રીતે આશ્રય સ્થાનો માં નિરાધાર અને મંદબુદ્ધિ મહિલાઓ માટે સરકાર સંચાલિત 'શાંતિધામ' અને વિશિષ્ટ ગૃહો છે. સાથે સાથે ટ્રસ્ટ અને એનજીઓ દ્વારા દેશમાં એવા ઘણા સેવાભાવી ટ્રસ્ટ છે જે આવી મહિલાઓને દત્તક લે છે, તેમની સારવાર કરે છે અને તેમને સન્માનજનક જીવન આપવા મથે છે. ઘણા સખાવતી સજ્જનો પોતાના ખર્ચે આવી બહેનોના ઓપરેશન કે રહેવાની વ્યવસ્થા કરી આપે છે.
પરંતુ, પ્રશ્ન એ છે કે શું આટલું પૂરતું છે? યોજનાઓ કાગળ પર છે, પણ શું તે છેક પેલા અંધારા ખૂણામાં બેઠેલી લાચાર બહેન સુધી પહોંચે છે? ઘણીવાર માહિતીના અભાવે કે પરિવારના સભ્યોની ઉદાસીનતાને કારણે આ લાભો તે મહિલા સુધી પહોંચતા જ નથી.
આ લેખ લખવાનો હેતુ લોકોને માત્ર દયા અપાવવાનો નથી, પણ જાગૃત કરવાનો છે. આપણે સમજવાની જરૂર છે કે સંવેદનશીલ બનો જો તમારી આસપાસ કોઈ આવી લાચાર કે દિવ્યાંગ મહિલા હોય, તો તેને તિરસ્કારની નજરે ન જુઓ. તેને માનવીય હૂંફ આપો. ચોક્કસ સ્થળે માહિતી પહોંચાડો જો કોઈ બહેન સરકારી યોજનાથી અજાણ હોય, તો તેને ફોર્મ ભરવામાં કે કચેરી સુધી પહોંચાડવામાં મદદ કરો. એમાં પણ ખાસ સુરક્ષાનો અહેસાસની વાત આવે ત્યારે આવી મહિલાઓ ઘણીવાર શોષણનો ભોગ બને છે. સમાજ તરીકે આપણી જવાબદારી છે કે આપણે તેમની ઢાલ બનીએ.
મંદબુદ્ધિની એ બહેન કે જે હસવાનું પણ ભૂલી ગઈ છે, પેલા ખૂણામાં પડી રહેલી ગરીબ દિવ્યાંગ સ્ત્રી કે જેનું કોઈ સગું વહાલું નથી. આ બધા આપણા જ સમાજનું અંગ છે. ઈશ્વરની આ સૃષ્ટિમાં દરેકને જીવવાનો અને સન્માન મેળવવાનો અધિકાર છે. જે સ્ત્રી પોતાનું જીવન પોતાના માટે નથી જીવી શકી, શું આપણે તેના જીવનમાં થોડો પ્રકાશ ન લાવી શકીએ?
દયા તો પશુ પર પણ આવે, પણ માણસાઈ તો એ છે કે આપણે તેમની લાચારીના સાક્ષી બનવાને બદલે તેમની શક્તિ બનીએ. આવો, આપણે સંકલ્પ કરીએ કે કોઈ પણ દિવ્યાંગ કે નિરાધાર મહિલા આધુનિકતાના આ યુગમાં એકલી અને લાચાર ન અનુભવે.
*લેખક - મયુરકુમાર મિસ્ત્રી*
09/03/2026
02/03/2026
*સંવાદની કમી એજ ગેરસમજ*
*લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)*
આજના અત્યાધુનિક યુગમાં આપણી પાસે વાતચીત કરવા માટે સેંકડો સાધનો છે - વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્માર્ટફોન જેવા સંપર્કના માધ્યમો હોવા છતાં, વિરોધાભાસ એ છે કે માણસ આજે જેટલો સંપર્કમાં છે, એટલો સંવાદમાં નથી. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, કોઈપણ સંબંધના પતનનું મૂળ કારણ ગેરસમજ હોઈ શકે છે, પણ એ સંબંધને કાયમી અંત તરફ ધકેલનારું પરિબળ અબોલા છે. મન સુધી પહોંચવાનો એકેય મારગ જડતો નથી. ગજબની વાત તો એ છે કે આપણી પાસે આખી દુનિયાના સમાચાર છે, પણ બાજુમાં બેઠેલા માણસના હૈયામાં કઈ હોળી સળગે છે એની આપણને ખબર નથી. જે ઉધઈની જેમ આખેઆખા સંબંધને પોલો કરી નાખે છે.
ખરેખર તો ગેરસમજ થવી એ કઈ મોટી વાત નથી. બે વાસણ ભેગા થાય તો ખખડે જ, એમ બે માણસ ભેગા રહે તો વિચારોના લથડકા થાય એ સ્વાભાવિક છે. પણ જ્યારે માણસ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દે છે ને, ત્યારે એ ગેરસમજ ખાતર બનીને અહંકારના છોડને પાણી પાય છે. દેશી ભાષામાં કહીએ તો, વાતનું વતેસર ત્યારે જ થાય જ્યારે વાત કરવાની બારી જ બંધ કરી દેવામાં આવે. ગેરસમજ એક તણખલા જેવી છે જે વાતો કરવાથી ઓલવી શકાય છે, પણ અબોલા એ એક એવું રણ છે જ્યાં સંબંધ તરસ્યો રહીને દમ તોડી દે છે.
જ્યારે સંવાદ બંધ થાય છે, ત્યારે મગજ ખાલી જગ્યા પૂરવાનું કામ શરૂ કરે છે. સામેવાળી વ્યક્તિએ કેમ આવું કર્યું હશે..? તેના મનમાં શું ચાલતું હશે..? આ પ્રશ્નોના જવાબો આપણે પોતે જ નેગેટિવ રીતે આપવા લાગીએ છીએ. સંવાદના અભાવમાં સત્ય કરતા કલ્પનાઓ વધુ શક્તિશાળી બની જાય છે.
ઘણાને એવી આદત હોય છે કે જરાક કંઈક થાય એટલે મૌન બનવાનું ચાલુ કરી દે. જાણે આખી દુનિયાનો ભાર એમના જ ખભે હોય. એટલું જરૂર કહી શકાય કે જ્યારે સંવાદ મરી જાય છે ને, ત્યારે મગજમાં કલ્પનાના ઘોડા છૂટા થાય છે. જે વાત એક પ્યાલી ચા પીતા-પીતા પતી શકે એમ હોય, એને આપણે અબોલા લઈને વર્ષોના વેર બનાવી દઈએ છીએ. ગેરસમજ વખતે થતો ઝઘડો કદાચ સંબંધને સુધારી શકે કારણ કે તેમાં અભિવ્યક્તિ છે, પણ અબોલામાં તો માત્ર અંધકાર છે.
આપણા વડવાઓ કહેતા કે નમે તે સૌને ગમે. પણ અત્યારે તો બધાયને તાડ જેવા ટટ્ટાર રહેવું છે. હું પહેલા શું કામ બોલું..? — આ એક વાક્યે કેટલાય હસતા-રમતા પરિવારોને સ્મશાન જેવી શાંતિમાં ફેરવી નાખ્યા છે. યાદ રાખજો, જે પહેલા બોલે છે એ નાનો નથી થઈ જતો, પણ એ સાબિત કરે છે કે એના માટે અહંકાર કરતા સંબંધ વધુ કિંમતી છે.
સંબંધો કઈ ફેવિકોલથી નથી ચોંટતા, એ તો શબ્દોની હૂંફ અને માફીની મીઠાશથી ટકે છે. જો મનમાં કડવાશ ભરીને મોઢા સીવી લેશો, તો અંદર ને અંદર ઝેર ફેલાશે. એના કરતા બે શબ્દ બોલીને, કદાચ થોડું લડીને પણ વાત ચોખ્ખી કરી લેવી સારી.
આજે મિત્રો કહો કે પછી કોઈપણ સંબંધની વાત કરીએ તો એક જ સોફા પર બેઠા હોય પણ બેયના મોઢા મોબાઈલમાં હોય. સ્ટેટસમાં ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ મુકાય, પણ બાજુમાં બેઠેલી વ્યક્તિ કે બહાર રહેતાં સ્વજનો માટે સાથે બે મિનિટ મન મૂકીને વાત ના થાય. આ અબોલાનું નવું સ્વરૂપ છે — ડિજિટલ અબોલા. સાથે હોવા છતાં સાથ ના હોવો એ સૌથી મોટી કરૂણતા છે.
સંબંધો કાચના વાસણ જેવા નથી કે એક વાર તૂટે એટલે પૂરું, એ તો તુલસીના ક્યારા જેવા છે, જો સંવાદનું પાણી નહીં પાવ તો સુકાઈ જશે. ગેરસમજ થાય તો બે ધબ્બા મારી લેવા, પણ અબોલા ના લેવા. કારણ કે મૌન જ્યારે દીવાલ બને છે ને, ત્યારે એને તોડવા માટે આખું આયખું ટૂંકું પડે છે. જો સંબંધ સાચવવો હોય, તો ગમે તેટલી મોટી ગેરસમજ થાય, ક્યારેય અબોલા ન લેવા. યાદ રાખો, શબ્દો વાગશે તો એનો ઈલાજ છે, પણ મૌન જો વાગશે તો એ સંબંધને કાયમ માટે અપંગ કરી દેશે.
*લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)*
*શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ*
Mayur Mistry
Mayur Mistry Vaishali Makwana
26/02/2026
भगवान विश्वकर्मा जी का दिव्य दरबार गुजरात की पछेडी चित्र शैली में कलाकारी
Mayur Mistry
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Address
Modasa