Raju Raval
16/03/2026
એક અબળાની બળતરા..
°°°°°°°°°°°°°°°°°°°°°°
આજે અહીં ચર્ચા એક અબળાની કરવી છે. વાત એક સરેરાશ સ્ત્રીની કરવી છે. નારીનું બીજું નામ તે સ્ત્રી. આમ જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને અનેક નામ,અર્થ અને સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. સ્ત્રી એ શતરૂપા છે,સન્નારી છે. સ્ત્રીનું નામ અરુંધતી છે અને અનસૂયા પણ છે. સ્ત્રી એ માનુની અને પદ્મિની પણ છે. અલબત્ત મારી વાત માત્ર એક અબળાની છે.
અબળા એટલે શું? જેનામાં બળ નથી તે અબળા?જેનામાં સંઘર્ષ કરવાની શક્તિ રહી નથી તે અબળા? શરણાગતિ સ્વીકારી લેવાની જેની આદત પડી ગઈ છે તે અબળા? જેની પ્રગતિના તમામ માર્ગો પર સ્પીડ બ્રેકર મુકવામાં આવે છે તે અબળા? પોતાનું ઉજ્વળ ભવિષ્ય જોવું છે પણ વ્યક્તિત્વ વિકાસના બધા બારી બારણાં પર ખંભાતી તાળાં મારેલા છે તે અબળા? સતત બળ વિનાની ગણી જેના પર બળપ્રયોગ કરવામાં આવે છે તે અબળા?
મારી દ્રષ્ટિએ અબળા એટલે એક પુરુષની બળપ્રયોગની પ્રાચીન પ્રયોગશાળા. ક્યારેક પરીક્ષણને અંતે નિષ્પન્ન થતું પરિણામ એટલે પુરુષનો એક અબળા પરનો અમાનુષી અત્યાચાર.
અને એક કડવું સત્ય. એક અબળા પરનો આખરી બળપ્રયોગ એટલે બળાત્કાર. બળાત્કાર એટલે એક પુરુષની પાશવતાનો પેસિફિક અને એની નીચતાનો નાયગ્રા ધોધ.
હું અબળાની ઉપરોક્ત એકપણ વિપરીત વ્યાખ્યા સાથે સંમત નથી. એક સ્ત્રીને અબળા સમજવી એ દુબળા સમાજની નિશાની છે. સ્ત્રી તો સશક્ત સમાજની જાગીર છે. ખરેખર, આખી જિંદગી પોતાની જાતને બાળીને બીજાને ઉજાળે તે અબળા. પોતાની જાતને ધુપસળીની જેમ જલતી રાખી બીજાને સુગંધ આપે તે અબળા. પોતાની જાત ઘસી સહુને માંજી માંજી ઘરને ઉજાળે તે અબળા.
શૌર્યવાન શિવાજી કે મહાન મહારાણા પ્રતાપનું પ્રાગટ્ય સ્થાન તે અબળા. સંકટ સમયની સાંકળ તે અબળા. સમાજને ચંદનની શીતળતા આપે તે અબળા. ઘર કે કુટુંબ ને બધી બળતરા માંથી મુક્તિ અપાવે તે અબળા. વિકટ પરિસ્થિતિમાં પણ પરિવારને અકબંધ રાખે તે અબળા. સમાજને બળ આપનાર ઉદ્દીપક તે અબળા.
એક અબળાને અબળા ગણતો સમાજ ક્યારેય સબળ ન બની શકે.
એક અબળાની વ્હારે એક આખરી સવાલ. રોજેરોજ દહેજ સારું બળી મરતી, છાછવારે શોષણનો ભોગ બનતી, ચોરેચૌટે અશ્લીલ ઇશારાઓ સામે આંખ આડા કાન કરતી અબળાની હાલત માટે કયા નબળાને જવાબદાર ગણવા? બારાક્ષરી નો બ નહિ સમજવા વાળી બાર વર્ષની અબુધ બાળા પર બળાત્કાર થાયને સમાજ મુકબધીર બને તો શું સમજવું? ઘરમાં ત્રાસથી કોઈ નવવધુ આપઘાત કરે અને શ્વસુર ભીષ્મપિતા બની જાય તો શું કરવું? એક સ્ત્રીનું શોષણ થાય કે એક અબળા ઉત્પીડનનો ભોગ બને અને સમાજ ગાંધીજી ના ત્રણ બંદરોની ભૂમિકા અદા કરે તો શું સમજવું?
અફસોસ સાથે કહેવું છે કે, ચાલો, સંવેદનાની ભરીએ એક શોર બકોર સભા ને અંજલિ સ્વરૂપે માનવતાને આપીએ તિલાંજલિ.
રાજુ રાવલ®®®
05/03/2026
ઉપયોગી મન એટલે ઉપવન
ઉપદ્રવી મન એટલે ઉકરડો..
************************
મારી નીચેની નવરાશમાં હાશ અનુભવતી મુખમુદ્રા મનમાં મનન થતું હોવાની ચાડી ખાય છે. શાંત સ્થિતિમાં કોઈ મુદ્દા પરના ગહન મંથનને ચિંતન કહેવાય. પણ ચિત્ત કોઈ વાતે ચકરાવે ચડી જાય તો એ ચિંતા કરી કહેવાય. વિચારોનો શાંત વાયુ મનમાં વહન થતો હોય તો મન રઘવાયું થાય. જો વિચાર વાયુ મટીને વાવાઝોડું થઈ જાય તો તો મનને ચિંતાગ્રસ્ત જાહેર કરવું પડે..
મન અને વનમાં શું સામ્યતા કે શું ભિન્નતા..? ફળદ્રુપ વનમાં વૃક્ષોની કૂંપળ ફૂટે ને ફળદ્રુપ મનમાં વિચારોની કૂંપળ ફૂટે છે. વનમાં વાંદરાઓ હુપાહુપ કરે છે તો મનમાં વિચારોના વાનરોનું હુપાહુપ..!! વનમાં વિરાટ વૃક્ષો સાથે શામળી વાદળીનું સંવનન ને મનમાં સ્વપ્ન સુંદરી સાથેનું કાલ્પનિક મસ્ત મિલન...!!
ઉપયોગી મન એ વન -ઉપવન છે ને ઉપદ્રવી મન એ ઉકરડો કહેવાય..અને એક ખાનગી વાત જે જાહેરમાં છાતી પર હાથ મૂકી કબૂલ કે વિચારવા માટેનું આપણુ શ્રેષ્ઠ સ્થળ એ આપણું શૌચાલય જ હોય ને...!! જ્યાં દુનિયા ભરના વિચારોનું મિલન-સંમેલન નિરાંતે ભરાતું હોય..!!
સારા કે નરસા વિચારો એ આપણા મનની ફરમાઇશ અને પેદાઇશ છે.મન પહેલાં વિચારની પછી આવિષ્કારની એક મસમોટી ફેક્ટરી જ છે.. રામ કે રાવણ એમની આકૃતિથી નહિ પણ એમના વિચાર - વ્યક્તિત્વ ને લઈને દેવ અને દાનવનું બિરુદ પામ્યા. મનમાં ઉઠતા ઉચ્ચ વિચારો માણસ ને ઉચ્ચ બનાવે છે તો નિમ્ન વિચારો માણસ ને નીચ સાબિત કરી દે છે..
ગ્રેહામ બેલના મનના એક વિચાર અને આવિષ્કાર થકી આજે આપણે ટેલિફોન પર હાય-હેલ્લો કહેતા થઈ ગયા. થોમસ અલ્વા એડિસનનો એક વિચાર આપણને રોશની આપી ગયો. અણુબોમ્બ શોધવાનો આલ્ફ્રેડ નોબલનો એક ઉચ્ચ વિચાર વિશ્વને અણુ શક્તિથી સજ્જ કરતો ગયો. એજ અણુશક્તિ ના દુરુપયોગના એક હરામખોર વિચારે હીરોશીમામાં હાહાકાર મચાવી દીધો. એક નીચ વિચારે નાગાસાકી ને તહસનહસ કરી નાખ્યું..એક વિચારની કેટલી જબરજસ્ત તાકાત છે તે આ ઉદાહરણો થી સમજી શકાય છે.. પણ આ તો મન છે મારું કે કોઈ નું કહ્યું ના માને રે..!!
હું ઈચ્છું કે મને-તમને - આપણ ને સહુ ને શ્રેષ્ઠ વિચારો આવે, મનની જેવી વૃત્તિ એવી જ આપણી આવૃત્તિ અને પ્રવૃત્તિ હોય છે એ ન્યાયે આપણી વૃત્તિ ને પ્રવૃત્તિ પરોપકારી અને સારી બને એ જ પ્રભુ પ્રાર્થના..
અંત માં એક વેદમંત્ર સાથે મારી વાત ને વિરામ આપું કે...
!! આ નો ભદ્રા કૃતવો યંતુ વિશ્વત : !!
વિશ્વ ની પ્રત્યેક દિશાઓ માંથી મને સારા વિચારો પ્રાપ્ત થાઓ...🙏🙏
રાજુ રાવલ ®®®
Click here to claim your Sponsored Listing.