Janlok Satya
તંત્રની બેદરકારી કે મોટી દુર્ઘટનાને આમંત્રણ?
*****
બોરસદના કાલું ગામે એક સાથે ચાર વીજ થાંભલા ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી
******-
બોરસદ તાલુકાના કાલું ગામના સિંધાપુરા વિસ્તારમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગામમાં 11 કે.વી. ની ૨૪ કલાક ચાલતી વીજ લાઈનનો એક ક્ષતિગ્રસ્ત થાંભલો અચાનક ધરાશાયી થતાં તેની સાથે જોડાયેલા અન્ય ત્રણ થાંભલા પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. સદનસીબે ઘટનાસ્થળે ખેતરોમાં બાજરી લણનીનું કામ ચાલતું હતું, અચાનક થાંભલા તૂટતાં ખેતરોમાં કામ કરતા ભાગવા લાગ્યા,જ્યાં લાઈન પડી ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધરાશાયી થયેલો મુખ્ય વીજ થાંભલો લાંબા સમયથી જોખમી હાલતમાં હતો અને તેની બાબતે અંદાજે બે મહિના પહેલાં સંબંધિત કચેરીએ ઓનલાઇન લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે આ ઘટના બની હોવાનું ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક નાગરિક અનિલકુમાર પ્રવિણસિંહ સિંધાએ અગાઉથી રજૂઆત કરાઈ હોવાનો દાવો કર્યો છે. ગ્રામજનોના કહેવા મુજબ, જો સમયસર મરામત અથવા બદલવાની કાર્યવાહી થઈ હોત તો આજની પરિસ્થિતિ ટાળી શકાય તેવી હતી.
ઘટના બાદ સ્થાનિક અગ્રણી અને 'જનલોક સત્ય ' ન્યુઝ પેપર ના પત્રકાર મહેન્દ્રસિંહ સિંધાએ રાસ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી અને જવાબદારી નિર્ધારિત કરવાની માંગ કરી હતી. જોકે સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ છે કે ઘટનાની ગંભીરતા સ્વીકારવાના બદલે જવાબદાર અધિકારીઓએ સ્થાનિકોએ તોડ્યો છે એવો આક્ષેપ લગાવી અસંતોષજનક વલણ દાખવ્યું.
ગ્રામજનોમાં ઉઠેલા સવાલો:
અગાઉથી રજૂઆત છતાં કાર્યવાહી કેમ ન થઈ?
જોખમી થાંભલાની તપાસ કોણે કરી હતી?
જો આ અકસ્માતમાં કોઈ નિર્દોષનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ?
શું તંત્ર મોટી દુર્ઘટના બાદ જ જાગશે?
ઉનાળાની ગરમીમાં રાત્રીભર બીના વીજળીથી રાત કાઢવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
ગામલોકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ વીજ વિભાગ દ્વારા નુકસાનગ્રસ્ત લાઈનને સુધારવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
અહેવાલ રિપોર્ટ : મહેન્દ્રસિંહ સિંધા
28/05/2026
બોરસદ:ડાલી ચોકડી :જીતપુરામાં યુવક પર હુમલો : સમાધાન બાબતે બોલાવી દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
********
બોરસદના ડાલી ચોકડી પાસે શાકભાજીનો વ્યવસાય કરતા એક યુવક પર દંપતી સહિત ત્રણ લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કેસના સમાધાન બાબતે અદાવત રાખીને યુવકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિરસદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના ડાલી ગામના જીતપુરા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય કૃષ્ણકુમાર કેસરીસિંહ પરમાર ડાલી ચોકડી પાસે શાકભાજીનો વ્યવસાય કરે છે. દરમિયાન અંજના દિલીપ પરમાર અને તેનો પતિ દિલીપ જીવા પરમારે કૃષ્ણકુમારને બોલાવ્યો હતો.
આરોપ છે કે અંજનાએ પોતાના દ્વારા કરવામાં આવેલી અરજી તથા તેના પતિ વિરૂદ્ધ નોંધાયેલા પોક્સો કેસમાં સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી.
બોલાચાલી ઉગ્ર બનતા દંપતીનું ઉપરાણું લઈને રવિ જગદિશ સિંધા પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણેય જણાએ ભેગા મળીને યુવક પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન લાકડાનું સ્ટુલ ફેંકીને માર મારવામાં આવતા કૃષ્ણકુમારને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને યુવકને વધુ મારમાંથી બચાવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર મામલે વિરસદ પોલીસે અંજના દિલીપ પરમાર, દિલીપ જીવા પરમાર અને રવિ જગદિશ સિંધા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Click here to claim your Sponsored Listing.